Click here to view/download copy of letter
પ્રતિ, તા.૩જી જુલાઇ,ર૦૧૪
શ્રીમતી આનંદીબેન પટેલ,
માન.મુખ્યમંત્રીશ્રી,
ગુજરાત સરકાર, સચિવાલય,
ગાંધીનગર.
નમસ્કાર,
આપશ્રી તા. ૬ઠ્ઠી જુલાઇ,ર૦૧૪ને શનિવારના રોજ કચ્છ જિલ્લામાં જઇ રહયા છો ત્યારે કચ્છ જિલ્લાના તેમજ મારા મત વિસ્તારના નીચે મુજબના પ્રશ્નોના યોગ્ય નિકાલ અર્થે આપશ્રીને જણાવુ છું. મને આશા છે કે, આપશ્રી દ્વારા યોગ્ય કાર્યવાહી કરાવવામાં આવશે.
૧: કચ્છ જિલ્લાના અબડાસા અને લખપત તાલુકાઓ અર્ધ અછતગ્રસ્ત જાહેર થયેલાં છે. તેમાં ઘાસની પૂરતી વિતરણ વ્યવસ્થા જરૂરી છે. મર્યાદિત સંખ્યામાં પશુઓને ઘાસ માટેના કાર્ડ આપવાના બદલે હકીકતમાં જેટલાં પશુઓ હોય તે તમામ પશુઓને ઘાસના કાર્ડ આપવા જોઇએ. છેલ્લાં ઘણાં સમયથી ગુજરાતમા઼ કોઇ દુષ્કાળનું વર્ષ નહીં હોવાથી રાજ્યના અનેક જિલ્લાઓમાં ઘાસનો પૂરતો જથ્થો સરકારી ગોડાઉનોમાં ઉપલબ્ધ છે. આ ઘાસને કચ્છમાં લાવીને ઘાસ ડેપો મારફત પશુપાલકો, સેવાભાવી સંસ્થાઓ અને ખેડૂતોને આપવું જોઇએ. અછતગ્રસ્ત વિસ્તારોમાં પીવાનું પાણી, બરોબર મળે તે માટે ર૪ કલાક વિજ પુરવઠો ઉપલબ્ધ થાય તે જરૂરી છે. અછત મેન્યુઅલના સંદર્ભમાં ભૂતકાળમાં એ પ્રકારે નિર્ણય લેવાતો હતો કે અછતગ્રસ્ત વિસ્તારમાં અવિરત વીજ પુરવઠો મળી રહે.
રઃ કચ્છ જિલ્લાને નર્મદાના પાણીની અત્યંત જરૂરીયાત છે. તાજેતરના બજેટમાં એક એકર મિલીયન ફીટ નર્મદાનું પાણી કચ્છને પહોંચાડવા જે નાણાંકીય જોગવાઇ થઇ છે તે અપૂરતી છે. નર્મદાનુ઼ પાણી કચ્છને પૂરતું મળે તે માટે પૂરતી નાણાંકીય વ્યવસ્થા થવી જોઇએ અને ફળવાયેલાં નાણાં પૂરેપૂરા વપરાય તે પણ જોવું જોઇએ. કચ્છમાં જુના હયાત મોટા ડેમોને નર્મદાના પાણીથી ભરવાનું આયોજન તાત્કાલિક થાય તે પણ આવશ્યક છે.
૩: નારાયણ સરોવર ખાતેના તળાવને નર્મદાના પાણીથી બારેમાસ ભરેલું રાખવાની જાહેરાત ઘણાં સમય પહેલાં કરવામાં આવી હતી પરંતુ, નર્મદાના પાણીથી આ તળાવ ભરવામાં આવતું નથી. અનેક હિન્દુઓના આસ્થાના સ્થળને અગ્રિમતા આપવા વિનંતી છે.
૪: કચ્છ જિલ્લામાં હિન્દુ અને મુસ્લીમ ધર્મોના અનેક સુપ્રસિધ્ધ આસ્થાના સ્થાનકો આવેલાં છે. આ સ્થળો પૈકીના ઘણાં સ્થળોને યાત્રાધામ તરીકે વિકસાવવાની સરકારે જાહેરાતો કરી છે પરંતુ તેને અનુરૂપ કામ થયેલ નથી.તો આ સ્થળો વિકસાવવા માટે પૂરતાં ગામો થાય તે જોવા વિનંતી છે.
પઃ પાકિસ્તાનથી કચ્છમાં આવીને વસેલાં અનેક કુટુંબો જુદા જુદા ગામોમાં રહે છે. આ ગામો રેવન્યુ વિલેજ તરીકે જાહેર થયેલાં નથી પરિણામે અનેક મુશ્કેલીઓ આ ગામોને પડે છે. માટે તાત્કાલિક આવા ગામોને રેવન્યુ વિલેજ તરીકે જાહેર કરવા વિનંતી છે.
૬: આપશ્રીએ થોડા સમય પહેલાં મહેસુલ મંત્રી તરીકે જાહેરાત કરી હતી કે, કચ્છના લોકોને બાવળ કાપવાની અને કોલસા પાડવાની છૂટ આપવાનુ સરકાર વિચારી રહી છે તો હવે જયારે આપ મુખ્યમંત્રી બન્યા છો ત્યારે આ અંગેનો નિર્ણય તાત્કાલિક લેવાય તેવી અપેક્ષા રાખુ છું.
૭: આપશ્રીએ ચૂંટણી દરમયાન માન.શ્રી સૌરભભાઇ પટેલ સાથે ચૂંટણી સભામાં કચ્છ જિલ્લાની ઉમરાણ ખાણ પુનઃ ચાલુ કરવાની વાત કરી હતી તો હવે આ ખાણ ફરી શરૂ થાય કે જેથી સ્થાનિક લોકોને રોજીરોટી મળી શકે તે માટે કાર્યવાહી થવા વિનંતી છે.
૮: કચ્છ જિલ્લાના લખપત, અબડાસા અને નખત્રાણા તાલુકામાં સરકારી કર્મચારીઓની ખૂબજ મોટા પ્રમાણમાં જગ્યાઓ ખાલી છે. આ જગ્યાઓ તાત્કાલિક ભરાય તે જરૂરી છે. તાજેતરમાં જે શિક્ષકોની ભરતી થઇ છે. તેમાં પણ એક શિક્ષકવાળી શાળાઓને પ્રાધાન્ય આપવું જોઇએ તે અપાયું નથી.
૯: લખપત,અબડાસા અને નખત્રાણા તાલુકાઓમાં વીજ વાયરો, થાંભલાઓ અને સબ સ્ટેશનોનું મરામતનુ઼ કામ યુધ્ધના ધોરણે કરવું જરૂરી છે કારણ કે, આ વિસ્તાર દરિયાઇ કાંઠાની નજીકનો હોય ક્ષારના કારણે વારંવાર વીજ પુરવઠો ખોરવાય છે.
૧૦: કચ્છ જીલ્લામાં આવેલાં ઉદ્યોગો કચ્છના સ્થાનિક લોકોને રોજગારી આપતાં નથી એવી વ્યાપક ફરિયાદ છે. આપશ્રી દ્વારા આ અંગેનું મોનીટરીંગ થાય અને સ્થાનિક લોકોને રજોગારી તેમજ નાના મોટા કામો મળી રહે તે જોવા વિનંતી છે.
૧૧: અબડાસા અને લખપત તાલુકામાં છેલ્લાં કેટલાંય વર્ષોથી નવા મોટા ડેમ બનાવવામાં આવેલ નથી આ વિસ્તારમાં નવા ડેમ બને તેવી અનેક સાઇટ ઉપલબ્ધ છે. આ અંગે યોગ્ય કાર્યવાહી થવા સિંચાઇ વિભાગને સૂચના આપવા વિનંતી છે.
૧રઃ કચ્છ જિલ્લાના બન્ની વિસ્તારમાં સૌથી વધારે પશુપાલકો રહે છે અને આ વિસ્તારમાં ખેતી થતી નથી માટે આનાવારી થયેલી નથી. ગત વર્ષે અહીં ખૂબ જ ઓછો વરસાદ થયેલો છે માટે આ વિસ્તારને તાત્કાલિક અછતગ્રસત જાહેર કરી પશુપાલકો માટે અને સ્થાનિક લોકો માટે ઘાસ,પાણી તથા અન્ય રાહતની કામગીરી શરુ કરવા વિનંતી છે.
૧૩: તેરા ગામે એક ઐતિહાસિક ગામ છે. આ ગામને હેરીટેજ વિલેજ તરીકે સરકારે જાહેર કર્યા પછી નકકી થયા મુજબના વિકાસના કામો હજુસુધી થયેલાં નથી તો તે પણ તાત્કાલિક થાય તેવી વિનંતી છે.
૧૪: કચ્છ જિલ્લાના આરોગ્ય કેન્દ્રોમાં ડોકટરોની જગ્યાઓ ખૂબ જ ખાલી છે અને ભુજની હોસ્પિટલ સામે પણ ઘણી ફરીયાદો આવે છે. માટે લોકોના આરોગ્ય અંગે યોગ્ય વ્યવસ્થા જરૂરી છે.
આભાર સહ, કુશળતા ઇચ્છુ છું.
આપનો સ્નેહાધીન,
(શક્તિસિંહ ગોહિલ)



