Click here to Download Press Note Date 12/06/2010 GUJ
વિરોધપક્ષના નેતાશ્રીનું કાર્યાલય
ગુજરાત વિધાનસભા, ગાંધીનગર.
અખબાર યાદી તા.૧ર.૬.ર૦૧૦
==================================================
- ભ્રામક પ્રચારની આંધળી દોટમાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ બિહારમાં આપેલી જાહેરાતમાં યુ.પી.ની મહિલાના ફોટા.
- ગુજરાતના મુખ્યમંત્રીશ્રી મેગ્લોમેનીયાના રોગથી પીડાય છે.
- ગાંધીનગરમાં દાખલ થતાં લગાડેલાં મોટા હોર્ડિગ્સમાં પૂજ્ય મહાત્મા ગાંધીજીનો ફોટો નાનો અને મુખ્યમંત્રીશ્રીનો મહાકાય ફોટો.
- ગુજરાતનો ખેડૂત ભૂતકાળમાં પણ પ્રગતિશીલ હતો.પરંતુ વર્તમાન સરકારની નીતિ ગુજરાતના ખેડૂતોની પ્રગતિને રુંધનારી.
- ચકલી ખોલો અને પેટ્રોલ આવશે તેમ કહેનારના રાજ્યમાં પેટ્રોલ તો શું ગામડામાં ચકલી(નળ) માંથી પાણી પણ આવતું નથી.
- ગુજરાતનો ખેડૂત દરવર્ષે નવી મારુતિ લે છે તેમ કહેનારના રાજ્યમાં ખેડૂતોની સાચી પરિસ્થિતિ કે મુશ્કેલી કોઇ જોતું નથી.
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી મેગ્લોમેનીયાથી પીડાઇ રહ્યાં છે. બિહારમાં અપાયેલી જાહેરાતોમાં પોતાની જાતને ખોટી રીતે ચિતરવામાં યુ.પી.ની મહિલાઓને ફોટામાં દર્શાવી અને ગુજરાતની મહિલાઓની કે ચોક્કસ વર્ગની પ્રગતિનું ખોટું ચિત્ર ઉભું કરવા પ્રયત્ન કર્યો છે. ગાંધીનગરમાં દાખલ થતાં મોટા હોર્ડિંગ્સમાં પૂજ્ય મહાત્મા ગાંધીજીનો ફોટો નાનો અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રીનો ફોટો અનેકગણો મોટો દર્શાવવામાં આવ્યો છે. રાષ્ટ્રપીતા કરતાં પોતાનો ફોટો મોટો મૂકવાની કોશીષ એજ માણસ કરી શકે કે જેને મેગ્લોમેનીયા લાગુ પડેલો હોય.બહારના રાજ્યોમાં જઇને એમ કહેવું કે ગુજરાતનો ખેડૂત દરવર્ષે નવી મારુતિ ખરીદે છે અને હકીકતમાં ગુજરાતના ખેડૂતોને ખાતર બિયારણ ઉપર પણ વેટ અને સરચાર્જનું ભારણ દેશમાં સૌથી વધારે ગુજરાતમાં રાખવામાં આવે છે. ગુજરાતના ખેડૂતોને મહેનતથી પોતાની પ્રગતિ કરવી છે. અને તેથીજ ભૂતકાળમાં પણ દેશના ખેડૂતો કરતાં ગુજરાતનો ખેડૂત હંમેશા પ્રગતિમાં અગ્રેસર રહ્યો છે.પડોશમાં આવેલી મહારાષ્ટ્ર સરકારે વેટનું ભારણ હોય કે રેગ્યુલર લોન ભરનાર ખેડૂતોને વ્યાજ રાહત આપવાની હોય તેમાં હંમેશા ખેડૂત તરફી નીતિ રાખી છે જયારે ગુજરાતમાં રાજય સરકારની નિતિ ખેડૂત વિરોધી રહી છે. વર્ષોથી મીટર વગરના વિજ જોડાણ માટે રાહ જોઇને બેઠેલા ખેડૂતોને વિજ જોડાણ મળતું નથી. ખેડૂતોને વિજ લોડ વધારા માટે ન કલ્પી શકાય તેવા પૈસા ભરવા પડે છે. ખેડૂતોના હિત માટે આવેલાં નાણાં ખેડૂતના હિતમાં વપરાવાના બદલે કૃષીરથના નામે મુખ્યમંત્રીશ્રીના ભ્રામક પ્રચાર અને ફોટાઓ તથા પત્રિકાઓ વહેંચવા માટે ઉડાડી દેવામાં આવે છે.
ચૂંટણી દરમ્યાન એમ કહેવામાં આવ્યું હતું કે, ગુજરાતમાં ચકલી ખોલશો ત્યાં પેટ્રોલ મળશે પરંતુ હકીકતમાં આજે ચકલી ખોલવાથી પેટ્રોલ તો શું પીવાનું પાણી પણ ગુજરાતમાં મળતું નથી.
જી.એસ.પી.સી.ના કરોડો રુપીયાના જાહેરાતના પાટીયા લગાડવાના બહાને પ્રજાના નાણાંનો ધુમાડો કરાય છે. કોઇપણ જાતના ટેન્ડરની પ્રક્રિયા વગર કરોડો રુપીયા પ્રજાની તિજોરીના નાણાં જાહેરાતો માટે આપી દેવાય છે. અને તેમાંથી પછી મુખ્યમંત્રીશ્રીની પ્રસિધ્ધી માટેની જાહેરાતો કરવાનો સોદો થાય છે. બિહારના રાજકીય પ્રવાસમાં લાખો રુપીયાની જાહેરાતો ગુજરાતની પ્રજાના પૈસાના ભોગે કરવાનો મુખ્યમંત્રીશ્રીને કોઇ અધિકાર નથી.
====================================================