Click here to view/download press note.
શ્રી શક્તિસિંહ ગોહિલનું કાર્યાલય
રાષ્ટ્રીય પ્રવક્તા, એ.આઈ.સી.સી અને ધારાસભ્ય, અબડાસા
અખબારીયાદી તા. ૧૧.૦૫.૨૦૧૬
ગુજરાતના તેજસ્વી વિદ્યાર્થીઓ કે જેઓ ડોક્ટર બનીને સેવા કરવાના સપના જોઈ રહ્યા છે તેમના ભવિષ્યને અંધકારમય બનાવવાનું ઘોર પાપ ગુજરાતની ભાજપની સરકારે કર્યુ છે. ગુજરાતનો વિદ્યાર્થી ગુજરાતીમાં ભણીને ગુજરાતમાં જ મેડીકલ કોલેજમાં પ્રવેશ માટે ગુજરાતીમાં લેવાનારી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો હતો તેને અચાનક નેશનલ એલીજીબીલીટી એન્ટ્રસ ટેસ્ટ (NEET) અંગ્રેજીમાં પરીક્ષા દેવાનું માથે આવી પડ્યું છે. ૨૦૧૩ માં ગુજરાત સરકાર દ્રારા સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ ફાઈલ કરવામાં આવી હતી અને સુપ્રીમ કોર્ટમાં ચાલતી NEET ની પરીક્ષા સમગ્ર દેશમાં ફરજીયાત કરવી કે નહી કે તેમાં ગુજરાત સરકાર પક્ષકાર હતી. સમગ્ર બાબતે જો ગુજરાત સરકારે પુરતી ચીવટ અને તત્પરતા તેમજ આનુઆંશિક તૈયારીઓ રાખી હોય તો આજે ગુજરાતના ૬૦ હજાર જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને હતાશા અને અનિશ્ચિતતાની પરિસ્થિતિમાં ન મુકાવવું પડ્યું હોત. ગુજરાતમાં ડોક્ટર બનવાના સપના સેવનાર વિદ્યાર્થીને રાતો રાત અંગ્રેજી માધ્યમમાં અને એ પણ ગુજરાતમાં જે સિલેબર્સ નથી તે સિલેબર્સ મુજબની સ્પર્ધાત્મક NEET ની પરીક્ષા આપવી પડે તો સ્વભાવિક રીતે જ ગુજરાતનો તેજસ્વી વિદ્યાર્થી અંગ્રેજી ભણેલા અને CBSC ના સિલેબર્સવાળા વિદ્યાર્થી સામે ટકી ન શકે. ગુજરાતના આરોગ્ય મંત્રીશ્રી નીતિનભાઈ પટેલનું NEET માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવા તાલુકા સ્તરે કોચિંગ સેન્ટર સ્થપાશે તે પ્રકારનું નિવેદન હાસ્યાસ્પદ છે. ગુજરાતીમાં ભણેલા અને ગુજરાતના સિલેબસને ધ્યાને લઈને તથા ગુજરાતની મેડીકલ પ્રવેશની પરીક્ષાને નજર સામે રાખીને જે વિદ્યાર્થીઓએ સતત ત્રણ વર્ષથી મહેનત કરી હોય તે વિદ્યાર્થીને હવે તાત્કાલિક તાલુકા સ્તરે કોચિંગ સેન્ટર કરીને માત્ર ગણતરીના દિવસોમાં NEET ની પરીક્ષા આપવા માટે તૈયાર કરી દેવાશે તેવું શ્રી નીતિન પટેલ નું નિવેદન અતિશય નિરાશાજનક છે. ગુજરાત સરકારે નામદાર સુપ્રીમ કોર્ટમાં ૨૦૧૩થી જો બરોબર ધ્યાન આપ્યું હોત તો આજે જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે તે ન થઈ હોત. ગુજરાત સરકારે ૨૦૧૩ માં જે એફિડેવિટ સુપ્રીમ કોર્ટ પાસે કરી હતી તેની તે જ એફિડેવિટ ૨૦૧૬ માં કરી છે. ભાજપના નેતાઓ સામે તેમણે કરેલા ગુનાહો બાબતમાં કોઈ પણ કેસ કોર્ટમાં જાય ત્યારે ભાજપની સરકાર થી માંડી ને કાર્યકર્તા સુધી સૌઉ ખુબજ જાગૃત બની જાય છે અને શામ, દામ, દંડ, ભેદ વાપરીને અદાલતો માંથી પોતાના ધાર્યા પરિણામો લાવવા આસમાન પાતાળ એક કરે છે. જો આવી જ તત્પરતા ગુજરાતના ૬૦ હજાર વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે ગુજરાતની ભાજપની સરકારે અને શ્રી નીતિન પટેલે રાખી હોત તો ગુજરાતના વિદ્યાર્થીઓને આજની નિરાશાજનક પરિસ્થિતિમાં ન ધકેલાવવું પડ્યું હોત. ભાજપના લીગલ સેલના નેતા કે જેમને ભાજપની સરકારે સુપ્રીમ કોર્ટમાં સરકારના વકીલ બનાવ્યા છે તેઓ એ ગુજરાતના વિદ્યાર્થીઓ માટે જે સાચી હકીકત છે તે મજબૂતી થી રજુ કરી નથી.
ગુજરાત સરકારે ગુજરાતના ૬૦ હજાર વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે આજના વડાપ્રધાન કે જેઓ પણ એક ગુજરાતી છે તેમને તથા કેન્દ્રના શિક્ષણ (HRD) મંત્રીશ્રી સ્મૃતિ ઈરાની તથા નાણામંત્રી અને વકીલ શ્રી અરુણ જેટલી કે જેઓ બન્ને પણ ગુજરાતમાંથી ચુંટાઈને રાજ્યસભામાં ગયા છે તેઓ ને મળી ને કોઈ પણ રીતે કમસેકમ આ વર્ષે ગુજરાતના વિદ્યાર્થીઓને NEET ની પરીક્ષામાંથી મુક્તિ મળે તેવું આયોજન કરવું જોઈએ તેવી માંગ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને ધારાસભ્યશ્રી શક્તિસિંહ ગોહિલે કરી છે.
———————————————————————–